
તમામ આરોપીઓ સામે આગામી દિવસોમાં ચાર્જફ્રેમ કરવામાં આવશે
કાર્તિકની સુચનાથી જ ગરીબ અને અભણ દર્દીઓને હોસ્પિટલમાં લાઇ ઓપરેશન કરાતાઃ સરકારની રજૂઆત
નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મોત નીપજવાના ચકચારભર્યા કેસમાં ધરપકડ કરાયેલા ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલ, રાજશ્રી કેસરી, સંજય પટોડિયા અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી (કેસમાંથી બિનતોહમત છોડી મુકવા) ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને મુખ્ય કિંગપિન આરોપી કાર્તિક જશુભાઈ પટેલની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 6070 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યુ છે.ચાર્જશીટમાં 30 મહત્ત્વના સાક્ષી, સાત સાક્ષીના મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન છે. કાર્તિક પટેલ સહિતના આરોપીઓએ બિમારીના નામે ડરના નામે ગરીબ દર્દીઓને ડરાવી મોટો આર્થિક લાભ મેળવ્યો છે. જ્યારે રાહુલ જૈન, ડો. સંજય પટોડિયા અને રાજશ્રી કોઠારીની પણ મુખ્ય સંડોવણી છે ત્યારે ડિસ્ચાર્જ ન કરી શકાય. નોંધનીય છે કે, સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીની સૂચનાથી ગરીબ અને અભણ દર્દીઓને કાવતરાના ભાગરૂપે હોસ્પિટલમાં લાવી તેઓની ખોટી રીતે એન્જીઓપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફી સહિત ઓપરેશનો કરવામાં આવતાં હોવાના સમગ્ર કૌભાંડની તેને જાણકારી હતી જ, તેમ છતાં તેણે કૌભાંડ આચરવામાં બનતી મદદગારી કરી હતી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં ઝડપાયેલ હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલે અને રાહુલ જૈને, રાજશ્રી કોઠારી, ડો. સંજય પટોડિયાની નીચલી કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે ફરી નીચલી કોર્ટને આ મામલે સાંભળા આદેશ કર્યો હતો. જેથી તમામે વધુ એક વખત કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે, આ કેસમાં અમારો કોઇ જ રોલ નથી, અમે કોઇ ઓપરેશન કર્યા નથી, ચાર્જશીટ જોતા અમારી સામે કોઇ જ પુરાવા નથી, તેથી કોર્ટે અમને ડિસ્ચાર્જ કરવો જોઇએ. બીજી તરફ ખાસ સરકારી વકીલ વિજય બારોટએ કોર્ટને જણાવ્યું હતું કે,કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય કિંગ પિન છે. આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ચેરમેન છે. આ ગુનાના કાવતરાખોરોનો મુખ્ય હેતુ સરકારની પીએમજેએવાય યોજનાનો આર્થિક ગેરલાભ મેળવવાનો હતો. આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં 50.98 ટકા હિસ્સો ધરાવે છે. ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના આર્થિક વ્યવહારોમાં તથા ઓડિટ રિપોર્ટમાં આર્થિક નુકસાનના થયાનુ આરોપીએ દર્શાવ્યું હતું, હોસ્પિટલના તમામ આર્થિક વ્યવહારો આરોપી દ્વારા દિશા નિર્દેશ થયા છે. જે પુરાવાની દ્રષ્ટિએ ખુબ જ અગત્યના છે.
તેમણે વધુમાં દલીલ કરી હતી કે, આરોપી મુખ્ય સૂત્રધાર છે હોસ્પિટલમાં દર્દીઓ લાવવા તથા તે દર્દીઓને પીએમજેએવાય હેઠળ હોય કે ન હોય ગેરકાયેદસર આર્થિક લાભ મેળવવા માટે આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા લોકોને પણ આરોપીઓ મારફતે અન્ય લોકોના ડેટાનો ઉપયોગ કરીને સરકારી વેબસાઈડ સાથે ચેડા કરી કાર્ડ મેળવ્યા હતા. આરોપી સહિતના લોકોએ પૂર્વયોજીત ગુનાહિત કાવતરૃ રચી પોતાને આર્થિક લાભ લેવા માટે માનવ જીવનનું અવમૂલન કરી ગુનાને અંજામ આપ્યો છે. જેમાં રાહુલ જૈનની પણ પુરતી સંડોવણી છે, રાહુલ અને કાર્તિક પટેલ અમદાવાદ શહેર તથા આજુબાજુના જિલ્લાઓંમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજવા માટે અગાઉ પકડાયેલા આરોપીઓને સુચના આપી હતી. આરોપી કેસની ટ્રાયલ મોડી કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે, ચાર્જશીટ જોતા આરોપી સામે પુરતા પુરાવા છે, ત્યારે આવા કેસમાં આરોપીને ડિસ્ચાર્જ ન કરવો જોઇએ.બન્ને પક્ષની રજૂઆત બાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.












